ગ્રામજનોએ વિકસિત ભારત માટે સહભાગી થવા સંકલ્પ લીધા
મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી તેનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. કાર્યક્રમ સ્થળે પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ આરોગ્ય તપાસ સ્ટોલ સહિતના સ્ટોલની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આરોગ્ય તપાસ કરાવી હતી અને મિલેટમાંથી બનેલ પોષણયુક્ત આહારનું નિદર્શન પણ નિહાળ્યું હતુ.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.