વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસે “CEIR” પોર્ટલના અસરકારક ઉપયોગથી કુલ 22 જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે. અંદાજે રૂ. 3,72,128/- ની કિંમતના આ મોબાઈલ પરત મળતાં અરજદારોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ અથવા ચોરાયેલ મોબાઈલ અંગે મળેલ અરજીઓના આધારે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને પોલીસ ટીમે CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખ્યું અને ટેકનિકલ વર્કઆઉટ હાથ ધર્યું. સર્વેલન્સ સ્ટાફની જહેમત અને સુચિત કામગીરીના પરિણામે 22 જેટલા મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી હતી.
મોબાઈલ પરત આપતી વખતે પોલીસ દ્વારા સુરક્ષા અને સેવા બંને પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવી હતી. આ કામગીરીથી “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સુત્રને સાર્થક કરવામાં આવ્યું છે.





