ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે મોરબીના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરિયા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન હાલમાં ઇરાન–ઇઝરાયેલ યુદ્ધના કારણે ઇમ્પોર્ટેડ ગેસના પુરવઠા અને એક્સપોર્ટ ક્ષેત્રે મોરબીના સિરામિક ઉદ્યોગને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગને હાલની પરિસ્થિતિમાં કેવી રીતે રાહત અને સહાય મળી શકે તે મુદ્દે મુખ્યમંત્રી સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સિરામિક ઉદ્યોગને યુદ્ધજન્ય પરિસ્થિતિમાં પડતી તમામ મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હરહંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ ઉપરાંત રાજ્ય સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ તથા ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંહ સાથે પણ સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અને ગેસ પુરવઠા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ સિરામિક ઉદ્યોગના વિકાસ અને ઉન્નતિ માટે સહકાર આપવામાં આવશે તેવી ખાતરી મળતા મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.





