(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી/માંગરોળ: રામાનંદી સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. મૂળ નિકાવા ગામના સુરેશભાઈ વિષ્ણુસ્વામીની સુપુત્રી અને હાલ માંગરોળ ખાતે અગ્રાવત પરિવારની પુત્રવધૂ ડૉ. કાજલબહેન વીરાંગભાઈ અગ્રાવતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Ph.D.ની પદવી હાંસલ કરી સમાજનું ગૌરવ વધાર્યું છે.
ડૉ. કાજલબહેને પોતાના સંશોધન માટે “ભક્તિકાલીન હિન્દી સાહિત્ય પર રામાનંદાચાર્ય કા પ્રભાવ” જેવા અત્યંત મહત્વપૂર્ણ અને અઘરા વિષયની પસંદગી કરી હતી. આ વિષય પર સંશોધન દરમિયાન તેમણે રામાનંદાચાર્યના વિચારો, તેમના આધ્યાત્મિક પ્રભાવ તથા ભક્તિકાળના હિન્દી સાહિત્ય પર પડેલી તેમની અસર અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.
સંશોધન કાર્ય દરમિયાન ડૉ. કાજલબહેને માત્ર પુસ્તકો અને ઉપલબ્ધ સાહિત્ય પૂરતું સંશોધન મર્યાદિત રાખ્યું નહોતું, પરંતુ વિષયની ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વિવિધ હિન્દી ભાષી પ્રદેશોમાં રૂબરૂ જઈને માહિતી અને સંદર્ભો એકત્રિત કર્યા હતા. રામાનંદાચાર્યની પરંપરા, સંપ્રદાય, ભક્તિકાળીન સાહિત્ય અને તેના ઐતિહાસિક તથા આધ્યાત્મિક પાસાઓને સમજવા માટે તેમણે અથાગ મહેનત કરી હતી.
ડૉ. કાજલબહેનની આ સિદ્ધિ પાછળ તેમના માતા-પિતા, સસરાપક્ષના પરિવારજનો, રામાનંદી સમાજ અને સંપ્રદાયના અભ્યાસુ વિદ્વાનો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માર્ગદર્શકો તેમજ તેમના ગુરુજનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આ તમામના માર્ગદર્શન, સહયોગ અને પ્રોત્સાહનથી તેઓ આ સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા હોવાનું તેમણે જણાવ્યું છે.
Ph.D.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ ડૉ. કાજલબહેને પોતાની સફળતા માટે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તેમના પરિવારજનો, ગુરુજનો, માર્ગદર્શકો અને સમગ્ર રામાનંદી સમાજના આશીર્વાદ અને સહયોગનું પરિણામ છે.
“ભક્તિકાલીન હિન્દી સાહિત્ય પર રામાનંદાચાર્ય કા પ્રભાવ” જેવા સંશોધનાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા વિષય પર Ph.D.ની પદવી પ્રાપ્ત કરીને ડૉ. કાજલબહેને રામાનંદી સમાજ તેમજ પોતાના પરિવારનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિને સમાજના આગેવાનો, વિદ્વાનો અને પરિવારજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.


