મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ–મોરબી મહિલા સમન્વય અને મોરબી જિલ્લા દ્વારા ‘હમ હૈ ભારત વિધાતા – દીકરી એ જ દેશનું ભવિષ્ય’ વિષય પર છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓમાં સંસ્કાર, રાષ્ટ્રભાવના, આધુનિક વિચારસરણી તેમજ સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો છે. સંમેલનમાં રાષ્ટ્રનિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
સંમેલનમાં વિવિધ સત્રો યોજાશે, જેમાં ‘સોશિયલ મીડિયા અને હું એક ઉત્તમ છાત્રા’ તથા ‘ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા’ જેવા વિષયો પર નિષ્ણાત વક્તાઓ માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી, સમાપન સત્ર અને અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ સંમેલન તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 9:00થી 11:30 વાગ્યા સુધી પટેલ સમાજ વાડી, શકત શનાળા, તા. મોરબી, જિ. મોરબી ખાતે યોજાશે. શાળા અને કોલેજની વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


