મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસના કર્મઠ અને લડાયક નેતા તથા જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગત રાત્રિના સમયે અચાનક હૃદયરોગના હુમલા આવતા દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ મોરબી જિલ્લાના રાજકીય તેમજ સામાજિક વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કિશોરભાઈ ચીખલીયા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી મહેન્દ્રનગર સ્થિત વોર્ડ નં. 4માં એક સ્થાનિક આગેવાનને મળવા ગયા હતા. આ દરમિયાન બેઠક ચાલતી વખતે જ તેમને અચાનક મેજર હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખસેડવાની તૈયારી કરવામાં આવી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું.
કિશોરભાઈએ જીવનકાળ દરમિયાન ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો હતો, અને તેમના પરિવારજનોએ તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરતા તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ સમાચાર મળતા જ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કિશોરભાઈ ચીખલીયા તેમના સરળ, મિલનસાર સ્વભાવ અને જનસેવા માટે જાણીતા હતા. કોંગ્રેસ સંગઠનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું અને તેઓ જનતાના પ્રશ્નો માટે સતત લડત આપતા નેતા તરીકે ઓળખાતા હતા.
તેમના આકસ્મિક નિધનથી ચીખલીયા પરિવાર તેમજ કોંગ્રેસ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.




