મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો-વ્યવસ્થા બની રહે, લોકોના જાન-માલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તારીખ ૨૮/૦૨/૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવવામાં આવી છે.
આ ઉપરાંત હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી હરવા-ફરવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ, તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તેમજ મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની, ભેદભાવ અથવા ચેષ્ટા કરવી તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૮ ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું સરકારી નોકરીમાં કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉચ્ચ અધિકારીશ્રીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, સક્ષમ સતાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં.