ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨.૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ને “નોડલ એજન્સી” તરીકે નિયુક્ત કરી તા. ૧૭/૦૩/૨૦૨૫ થી ઘઉં ની ખરીદી હાથ ધરવામાં આવી છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫ થી ૧૬/૦૩/૨૦૨૫ સુધી કરવાની હતી, જેમાં વધારો કરી તા. ૦૫/૦૪/૨૦૨૫ સુધીની કરવામાં આવી છે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવવા અપીલ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ .૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ મોરબી ગુ.રા.ના.પુ.ની.લી.ના નાયબ મેનેજેરની યાદીમાં જણાવાયું છે.