ગરમીના પ્રકોપ સામે રાહદારીઓને લીંબુ અને વરિયાળીનું સરબત પીવડાવી ટાઢક પહોંચાડી
મોરબી : હમણાંથી સૂર્ય પ્રકોપને લીધે હિટવેવ જેવી સ્થિતિ સર્જાતા જનજીવન આકુળ વ્યાકુળ થઈ ગયું છે અને અંગ દઝાડતી ગરમીને લીધે લોકો રીતસર શેકાય રહ્યા છે. ત્યારે મોરબીમાં તમામ જન સમુદાયના હિતમાં કાર્ય કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આવી કાળઝાળ ગરમીમાં લોકોની વહારે આવી શહેરના વિવિધ સ્થળે હેલ્ધી લીબુ સરબત અને વરિયાળી સરબત વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં અનેક સેવાકીય, સામાજિક, શૈક્ષણિક સહિત તમામ ક્ષેત્રે લોકોને ઉપયોગી પ્રવૃત્તિઓ કરીને દેશ અને સમાજમાં ક્રાંતિકારી પ્રયાસો કરનાર યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા હાલના ઉનાળાના બળબળતા તાપ સામે લોકોના આરોગ્યના હિત માટે ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, ગાંધીચોક, જુના અને નવા બસ સ્ટેન્ડે, દલવાડી સર્કલ, સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડીએ પસાર થતા અસંખ્ય લોકોને ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબત પીવડાવી આગઝરતી ગરમીમાં રાહત આપી હતી. તેમજ શ્રમજીવીઓ જ્યાં જ્યાં કામ કરતા હોય તે સ્થળે જઈને પણ શ્રમિકોને ઠંડા લીંબુ સરબત અને વરિયાળીનું સરબત પીવડાવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હાલની ગરમીએ લોકોને તોબા પોકરાવી દીધા છે. બપોરે તો બહાર નીકળી પણ ન શકાય તેવી ગરમી પડે છે. ત્યારે કામ સબબ નીકળતા અને ખુલ્લામાં મજૂરી કામ કરતા શ્રમિકોના આરોગ્ય માટે ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબત એકદમ રાહતરૂપ છે. એટલે હમણાં જ્યાં સુધી આવી સખત ગરમી પડે છે ત્યાં સુધી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ઠંડા લીંબુ સરબત અને વરિયાળી સરબતનું વિતરણ કરવામાં આવશે. સાથેસાથે લોકોને કામ સિવાય બપોરે ઘરની બહાર ન નીકળવા અને જો કદાચ ખરા બપોરે કામ માટે નીકળવાનું થાય તો લોકોને માથે ટોપી અને શરીરના તમામ અંગ ઢાંકીને નીકળવાની સલાહ આપી છે.