૧૧ વર્ષથી ૧૬ વર્ષ સુધીના કુલ ૭૦ બાળકોની શારીરીક અને માનસિક તંદુરસ્તી માટે યોગ અને પ્રાણાયમ કરાવાયા
મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે લગધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ સમગ્ર રાજ્યમાં યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં નિયામકશ્રી આયુષ, ગાંધીનગર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી સીધા નિદર્શનમાં લખધીરનગર આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ) ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ૧૧ વર્ષથી ૧૬ વર્ષ સુધીના કુલ ૭૦ બાળકોએ ભાગ લીધો. બાળકો યોગ દ્વારા શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત બને તથા આપણી પ્રાચીન યોગ પરંપરાની જાળવણીના હેતુ સાથે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસ દરમિયાન બાળકોને યોગ અને પ્રાણાયમ સાથે વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી. આ કેમ્પનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. વિરેન ઢેઢી, મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.