ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તે તા.૨૪/૦૬/૨૦૨૫ તથા મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ હાથ ધરાશે. અગાઉની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂંકા સંદેશ), એમ.એમ.એસ., સોશિયલ મીડિયા તથા સંદેશ વ્યવહારના અન્ય સાધનો થકી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ થયાનું અનુભવ પરથી જણાયેલ છે.
ગ્રામ પંચાયતની આગામી સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓમાં સ્થાપિત હિતો ધરાવતા ઈસમો દ્વારા એવો દૂરપયોગ કરવામાં આવે તેવી શક્યતા રહેલ છે. આવા કૃત્યોના લીધે ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આચાર સંહિતા તથા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો / સૂચનાઓનો ભંગ થાય છે. આવા અનિચ્છનીય કૃત્યોથી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દૂષિત થવાની સંભાવના હોય આવી પ્રવૃતિઓ તાત્કાલિક અટકાવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત ચૂંટણી સંદર્ભમાં શાંત વાતાવરણ ડહોળાઈ જાય તેવા બદઇરાદાથી તેમજ કોમ કે ધર્મ કે જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ ઉભો કરવાના હેતુથી કેટલાક ઈસમો ઉશ્કેરીજનક એસ.એમ.એસ., એમ.એમ.એસ, સોશિયલ મીડિયા તથા સંદેશા વ્યવહારના અન્ય સાધનોનો ઉપયોગ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. અનુભવના આધારે અને વ્યાપક મળતી માહિતીના આધારે પ્રસ્થાપિત થયેલ છે કે કોમી તંગદિલી ફેલાવે કે કાયદો અને વ્યવસ્થા જોખમાવે કે ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડે તેવા વજુદ વગરના સમાચારો મોબાઈલ ફોનના ગ્રુપ/ વ્યક્તિગત એસ.એમ.એસ/ એમ.એમ.એસ. સંદેશ વ્યવહારના અન્ય સાધનો દ્વારા પ્રસારિત થાય છે અને આવા ખોટા સંદેશા વ્યવહારની લોકોમાં આપ-લે થવાના પરિણામે કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જોખમાય તેવી સંભાવના રહે છે. મુક્ત, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજવાના હેતુથી આવી શક્યતાઓનું તાત્કાલિક અસરકારક નિવારણ કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય બનેલ છે.
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, બી.એસ.એન.એલ, એરટેલ, વિઆઇ, રિલાયન્સ જિયો વગેરે તેમજ ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ વગેરે જેવી સોશિયલ સાઇટ પુરી પાડતી કંપનીઓએ મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં પ્રસ્થાપિત કાયદાનો ભંગ થાય તેવો કે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ/ સૂચનાઓનો ભંગ થાય તેવા કે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે તેવા ગ્રુપ/ બલ્ક એસ.એમ.એસ., એમ.એમ. એસ, તથા અન્ય કોઈપણ પ્રકારના સંદેશાઓ તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી પ્રસારિત કરી શકાશે નહીં.
વધુમાં રાજકીય સ્વરૂપના કોઈપણ પ્રકારના સંદેશાનું પ્રસારણ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૨૦/૦૬/૨૦૨૫ સાંજના ૧૮:૦૦ કલાકથી તા.૨૨/૦૬/૨૦૨૫ સાંજના ૧૮:૦૦ કલાક સુધી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપત્ર થશે.