મોરબી ખાતે ગુજરાત ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પી.જી. પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ–૨૦૨૬ નિમિત્તે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી અને શેઠ શ્રી પી.જી. પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે, ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી તા. ૨૧-૦૨-૨૦૨૬ના રોજ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રેરક તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા નો ઓડિયો શુભેચ્છા સંદેશ સાંભળ્યા બાદ કવિ સંમેલનની શરૂઆત થઈ હતી.
કવિ સંમેલનમાં પ્રતિષ્ઠિત કવિ રામ વારોતરિયા અને કવિ જનાર્દન દવે એ પોતાની સુંદર અને હૃદયસ્પર્શી રચનાઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની કાવ્યરચનાઓ દ્વારા માતૃભાષાનું મહિમાગાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના સંચાલકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને રસપ્રદ રીતે જોડ્યા રાખ્યા હતા. અંતે વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ આભાર દર્શન વ્યક્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં નગરના સાહિત્યપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કૉલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટ, સંયોજક પૂનમ ફેફર તથા સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
આમ, કવિ સંમેલન દ્વારા માતૃભાષા પ્રત્યે પ્રેમ, આદર અને સંવેદનાને વધુ મજબૂત બનાવવાનો સારો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.





