પાણીવેરા પ્રોત્સાહન અને જળ વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા અગ્રણીઓ તથા પાણી સમિતિઓનું વિશેષ બહુમાન કરાયું
જિલ્લાના પાંચેય તાલુકાની મહિલા સભ્યોને પાણીની બચત, વિતરણ વ્યવસ્થા અને મરામત-નિભાવણી અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન
‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવા અને જળ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉમદા હેતુથી વાસ્મો-મોરબી દ્વારા ‘મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાણીવેરા પ્રોત્સાહન અને જળ વિતરણ વ્યવસ્થામાં આદર્શ કામગીરી કરનાર પાણી સમિતિઓ તેમજ કર્મનિષ્ઠ મહિલા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ સ્તરે પાણીના સુચારૂ વિતરણ અને વ્યવસ્થાપનમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકા માટે મહિલાઓને વિશેષ બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે વાસ્મો કચેરીના તજજ્ઞો દ્વારા મહિલાઓને પાણીવેરાની અગત્યતા, પાણી સમિતિ અને SHG ના સંકલનથી થતા ફાયદા, પાણીની બચત તેમજ વિતરણ લાઇનની મરામત અને નિભાવણી જેવા પાયાના મુદ્દાઓ પર ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી જિલ્લામાં જળ સુરક્ષા અને મહિલા સશક્તિકરણના સમન્વયથી નવી દિશા કંડારવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના વિવિધ ગામોની ગ્રામ પંચાયત, પાણી સમિતિ તેમજ સખી મંડળ (SHG) ના મહિલા સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જળ સંચયનો નિર્ધાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં વાસ્મો યુનિટ મેનેજર અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ. એસ. દામા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, ICDS જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, ડેપ્યુટી ઈજનેર પ્રિયંકાબેન કુકડીયા, કાર્યપાલક ઈજનેર પૂર્વાંગીબેન ગોસાઈ, ડેપ્યુટી ઈજનેર આર.ડી. બાવરવા તેમજ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.





