મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસને વેગ આપવા માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે અને નાગરિક સુવિધાઓમાં ગુણાત્મક સુધારો લાવવા પ્રયાસો તેજ બન્યા છે.
માધાપર વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે નવું શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને સંબંધિત એજન્સીને LOI (લેટર ઓફ ઈન્ટેન્ટ) પણ સોંપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થવાની શક્યતા છે. આ માર્કેટ તૈયાર થતા છૂટક વેપારીઓને સુવિધાયુક્ત જગ્યા મળશે અને સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યા વિના ખરીદી કરવાની સગવડ મળશે.
આ સાથે શહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની જૂની દુકાનોના રી-ડેવલપમેન્ટ માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પાલિકાએ દુકાનદારો સાથે બેઠક યોજી રી-ડેવલપમેન્ટ પ્લાન અંગે ચર્ચા કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જર્જરિત દુકાનોને બદલે આધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે.
આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં મોરબી શહેરના સૌંદર્યમાં વધારો થવા સાથે વેપાર-વ્યવસાયને નવી તકો મળશે અને નાગરિકોને વધુ સુવિધાસભર જીવન મળશે.




