ડાયરેક્ટર & કોરિયોગ્રાફર રવિરાજભાઇ પૈજા તથા અરુણાબેન મારુ અને અલ્કેશભાઈની ટીમની પ્રસ્તુતિએ માધવપુર ઘેડ મેળાને બનાવ્યો કૃષ્ણ ભક્તિમય
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી શ્રી રુકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા માધવપુર ઘેડ લોકમેળોના ચોથા દિવસે માધવપુર ઘેડ ખાતે ના કાર્યક્રમોના અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. તા.31 માર્ચના રોજ દ્વારકા ખાતે રુકમણી સત્કાર સમારોહ અંતર્ગત કાર્યક્રમ યોજાશે.
માધવપુર મેળાના આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબી તથા પોરબંદરના કલાકારોએ નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનો અદ્વીતીય પ્રેમ તથા શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહની નૃત્ય નાટિકા લોકકલાનુ મનમોહક ઉત્તમ પ્રસ્તુતિ કરી હતી. ગ્રુપના કલાકારોની પ્રસ્તુતિઓએ સમગ્ર માધવપુર ઘેડ મેળાના માહોલને કૃષ્ણ ભક્તિમય બનાવ્યો હતો.અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.




