મોરબી જિલ્લામા તા. ૨૮ થી ૩૦ જૂન દરમિયાન યોજાશે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ: ૧.૨૧ લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ

Advertisement
Advertisement
Advertisement

પ્રથમ દિવસે ૬૧૯ બૂથ પર અને બાકીના બે દિવસ ૧,૧૩૭ ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને ૦ થી ૫ વર્ષના બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપાં

ઔદ્યોગિક, વાડી અને સ્લમ વિસ્તારો સહિત જાહેર સ્થળો માટે ખાસ મોબાઈલ ટીમો કાર્યરત

ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયોનું અસ્તિત્વ હોવાથી આ વાયરસ ફરી ન ફેલાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૮ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા અને શહેરના ૦ થી ૫ વર્ષના કુલ ૧,૨૧,૫૮૪ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સુદ્રઢ આયોજન મુજબ, ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે ૨૮ જૂન-રવિવારના રોજ જિલ્લાભરના ૬૧૯ નિયત બૂથ પર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારીઓની ૧,૧૩૭ ટીમ દ્વારા બૂથ પર આવતા વંચિત રહી ગયેલા બાળકોને ઘરે-ઘરે જઈને આવરી લેવાશે. આ ઉપરાંત, શ્રમિક પરિવારોના બાળકો માટે ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારો (સિરામિક કારખાના), વાડી વિસ્તારો, સ્લમ વિસ્તારો તેમજ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાઈવે અને અન્ય જાહેર સ્થળો પર મોબાઈલ ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે કુલ ૧,૧૩૭ આરોગ્ય કર્મચારીઓની ટીમ મેદાનમાં ઉતરશે. સમગ્ર કામગીરીના સચોટ સુપરવિઝન માટે ૧૧૮ રૂટ સુપરવાઈઝર, ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને ૬ અર્બન હેલ્થ સેન્ટર (UHC) ના મેડિકલ ઓફિસર્સ તેમજ ૫ તાલુકા હેલ્થ ઓફિસર્સ સતત મોનિટરિંગ કરશે.

દેશને કાયમ માટે પોલિયો મુક્ત રાખવાના આ રાષ્ટ્રીય કર્તવ્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા અને ૨૮ જૂન-રવિવારના રોજ પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ અચૂક પોલિયોના ટીપાં પીવડાવવા મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ દ્વારા જિલ્લાના તમામ નાગરિકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW