બરવાળા-દહીંસરા સેક્શનમાં મેન્ટેનન્સ અન્વયે ૨૫ જુલાઈ રાત્રે ૧૦:૦૦ થી ૨૬ જુલાઈ સવારે ૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે ફાટક
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ; વાહનચાલકોને લુણટાવદર-ખાખરાળા-ધ્રોલ થઈને જામનગર તરફના ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ
વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા બરવાળા-દહીંસરા સેક્શન અંતર્ગત પીપળિયા ખાતે આવેલ લેવલ ક્રોસિંગ નં. ૬૪ (PPS) પર ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) માસ્ટની અગત્યની રિપેરિંગ અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાનાર છે. જેના પગલે સ્ટેટ હાઈવે નં. ૨૪ (મોરબી-નવલખી રોડ / NH-151A) પરનું આ લેવલ ક્રોસિંગ તા. ૨૫ જુલાઈ ૨૦૨૬ ની રાત્રે ૨૨:૦૦ કલાકથી તા. ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે અસ્થાયી ધોરણે સંપૂર્ણ બંધ રહેશે. જે અન્વયે મોરબી જિલ્લામાં વાહનવ્યવહારના સુચારુ નિયમન અને જાહેર સલામતી અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર આ સમયગાળા દરમિયાન મુસાફરો તથા વાહનચાલકોને અસુવિધા ન પડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. પિપળિયા ચાર રસ્તાથી જામનગર તરફ જવા તેમજ સામેથી આવતા વાહનો માટે પિપળિયા ચાર રસ્તા – લુટાવદર – ખાખરાળા – મોરબી બાયપાસ ઓવરબ્રિજ – સનાળા – ટંકારા – લતીપર – ધ્રોલ થઈને જામનગર તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.
આ જાહેરનામાના હુકમનો અનાદર કરનાર ઈસમ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


