મોરબી, તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૬: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વ્યસન/ડ્રગ મુક્તિ અને ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે તથા જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૭૦થી વધુ NSS વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ક્ષયરોગ (ટી.બી.) અંગે જાગૃતિ કેળવવાનો તેમજ ટી.બી.ના લક્ષણો, કારણો, બચાવ અને સારવાર અંગે જરૂરી માહિતી પૂરી પાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય વિભાગના DPC શ્રી પિયુષભાઈ જોષીએ ટી.બી. એક ચેપી રોગ હોવાનું સમજાવતાં જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી રહેતી ઉધરસ, તાવ, રાત્રે પરસેવો આવવો, વજન ઘટવું અને ભૂખમાં ઘટાડો થવો જેવા લક્ષણો ટી.બી.ના સંકેત હોઈ શકે છે. ટી.બી.ની શંકા જણાય ત્યારે સમયસર તપાસ કરાવવી અને તબીબી સલાહ મુજબ સંપૂર્ણ સારવાર લેવી અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, યોગ્ય સારવાર અને સાવચેતી દ્વારા ટી.બી.ને નિયંત્રિત કરી શકાય છે તેમજ તેના ફેલાવાને પણ અટકાવી શકાય છે. વિદ્યાર્થીઓને ‘ટી.બી. મુક્ત સમાજ’ના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ઘુવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે ટી.બી. મુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, માહિતીપ્રદ અને ઉપયોગી રહ્યો હતો.


