Friday, March 13, 2026

મોરબી જિલ્લામાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ – કલેકટર કે. બી. ઝવેરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રિબ્યુટરની બેઠક કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ

ડોમેસ્ટીક ગેસમાં કાળા બજાર કરનારા તત્વોને સામે કડક કાર્યવાહી કરાશે : પોલીસ અધિક્ષક મુકેશ પટેલ

લોકોને એલ.પી.જી. માટે અનાવશ્યક તણાવ ના રાખવા તેમજ એલ.પી.જી.નો બિન જરૂરી સંગ્રહ ન કરવા માટેનો જિલ્લા વહિવટી તંત્રનો અનુરોધ

વિતરકોએ એલ.પી.જી.સ્ટોકની આવક જાવકનું મેન્યુઅલ રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે ઃ શંકાના દાયરામાં આવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયા

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ગેસ એજન્સી નોડલ ઓફિસર તથા ડિસ્ટ્રિબ્યુટરની બેઠક કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને તથા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ તકે કલેકટરએ ગેસ એજન્સીના વિતરકોને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના હેતુફેર કે કાળા બજાર ના કરવા માટે તાકીદ કરી હતી. જો ગેસ એજન્સી અને વિતરકો જો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર – એલ.પી.જી.ના કાળા બજાર કરતા ઝડપાસે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ અધિક્ષક મુકેશ પટેલે કહયુ હતું કે ગેસના બાટલા – એલ.પી.જી.માં કાળા બજાર કરનારા તત્વોને આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ગનાખોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવશે. તેમજ આગળ જતાં પાસા જેવી સખત કાર્યવાહી પણ કરાશે. તેમજ આવી એજન્સીઓના લાયસન્સ રદ કરી તેમને બ્લેક લિસ્ટ કરાશે. જેથી હાલના સંજોગોમાં ગેસ વિતરણ કર્તાઓ ગંભિરતા દાખવે તેવી તાકિદ કરાઇ હતી. ગેસ વિતરણ કરતી એજન્સીઓને LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે પોલીસ પ્રોટેકશન પણ પૂરું પડાશે. ગેસનું પરિવહન અને વિતરણ માન્ય વાહનમાં જ કરવાનું રહેશે.

કલેકટરએ જણાવ્યુ હતુ કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર તથા PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે તેનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્‍દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસનો સમયગાળો તથા ગ્રામીણ વિસ્તાર માટે ૪૫ દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જીનો બિન જરૂરી સંગ્રહ ન કરવામાં આવે તેવો અનુરોધ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્‍ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યુ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. આવા સમયે ગેસ વિતરણ કરતી એજન્સી અને વિતરકોને સાથે પણ બિજ જરૂરી સંઘર્ષ ના કરવા અને તેઓને સહયોગ આપવા અપીલ છે.

લોકો ગેસ એજન્સીમાં આવે ત્યારે તેઓ સાથે વિનય વિવેક સાથે માનવતાવાદી વલણ દાખવવા, ગ્રાહકો માટે પીવાના પાણી, છાયડા તથા બેઠક વ્યવસ્થા રાખવા પણ વિતરકોને સુચના અપાઇ હતી.

જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ કહયું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક જાવકનું મેન્યુઅલ રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે. તેમજ ઓનલાઇન પણ ડેટા એન્ટ્રી પણ કરવાની રહેશે. જો તેમાં કોઇ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW