મોરબી/ગાંધીનગર:
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે રાજ્ય સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓનો યોગ્ય ઉકેલ ન આવતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહામંડળે જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયાથી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ મહેસૂલી તેમજ અન્ય વધારાની કામગીરીથી અલગ રહેશે.
મહામંડળના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીઓને જોબચાર્ટ નક્કી કરવા અંગે સરકાર સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં અત્યાર સુધી સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ દરમિયાન સરકારે નવા રેવન્યુ તલાટીઓની નિમણૂકના આદેશો જાહેર કર્યા છે. મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે નવા નિમણૂક પામેલા રેવન્યુ તલાટીઓ ફરજ સંભાળે તેના બીજા દિવસથી હાલના તલાટી કમ મંત્રીઓ તમામ વધારાની કામગીરી બંધ કરશે.
મહામંડળે પોતાના તમામ જિલ્લા અને તાલુકા હોદ્દેદારોને આ નિર્ણયનો રાજ્યભરમાં ચુસ્ત અમલ કરાવવા સૂચના આપી છે. સાથે જ જિલ્લા મહામંડળોને પોતાના નામે આદેશ પ્રસિદ્ધ કરી જિલ્લા વિકાસ અધિકારી (DDO) તથા કલેક્ટરને જાણ કરવા પણ જણાવાયું છે.
તલાટી મહામંડળના આ નિર્ણયથી રાજ્યમાં મહેસૂલી અને અન્ય વહીવટી કામગીરી પર અસર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર અને તલાટી મહામંડળ વચ્ચે આ મુદ્દે શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર છે.


