(અહેવાલ: મયંક દેવમુરારી)
બાલદિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી ઘટક-૨, ખાખરાળા સેજાના, અમરેલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો દ્વારા ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુના જીવન અને દેશપ્રેમ પર આધારિત સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
નાનકડા ભૂલકાઓએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ભૂમિકા ભજવીને તેમના દેશપ્રેમ, સાહસ અને રાષ્ટ્ર માટે આપેલા બલિદાનને ભાવપૂર્ણ રીતે રજૂ કર્યું હતું. બાળકોના સંવાદ, અભિનય અને દેશભક્તિના ગીતોથી કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનાનું વાતાવરણ સર્જાયું હતું.
આંગણવાડી કાર્યકર અને તેડાગરના માર્ગદર્શન હેઠળ બાળકોને સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને દેશ માટેના તેમના ત્યાગ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. નાટક દ્વારા બાળકોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, સાહસ અને મહાન વ્યક્તિત્વોના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બાળકોની ઉત્સાહભરી રજૂઆતને ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વધાવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આંગણવાડીના બાળકોમાં રમતાં-રમતાં શીખવાની સાથે સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ અને સામાજિક મૂલ્યોનો વિકાસ થાય છે.


