જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયાના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
મોરબીના સુપ્રસિદ્ધ અને પરમ પવિત્ર શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે બે દિવસીય પરંપરાગત લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો હતો. જિલ્લા ભાજપ મહામંત્રી તથા કાર્યાલય પ્રભારી અરવિંદભાઈ વાંસદળીયાના હસ્તે રિબન કાપીને લોકમેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
લોકમેળાના પ્રારંભ પૂર્વે અરવિંદભાઈ વાંસદળીયાએ રફાળેશ્વર મહાદેવના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના તથા જળાભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમણે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ નમાવી સમગ્ર મોરબી જિલ્લા સહિત રાજ્યના નાગરિકોની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.
લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અરવિંદભાઈ વાંસદળીયાએ જણાવ્યું હતું કે, “આપણી ભારતીય સંસ્કૃતિમાં મેળાઓ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો અને ભક્તિમય પરંપરાનું પ્રતીક છે. રફાળેશ્વર મહાદેવનો આ લોકમેળો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ છે.”
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય લોકમેળાના પ્રારંભથી રફાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભક્તિ, આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


