*નિર્માણો કે ઈસ પાવન યુગ મેં ચરિત્ર નિર્માણ ન ભૂલે,*
*સ્વાર્થ સાધના કી આંધી મેં માનવ કા કલ્યાણ ન ભુલે.*
હાલ બોર્ડના એકઝામના પરિણામની મોસમ પુર બહારમાં ખીલી છે. થોડા વર્ષો પૂર્વે ત્રણ વિદ્યાર્થીઓ જેટલા કુલ માર્ક્સ મેળવતા એટલા માર્ક્સ આજનો એક-એક વિદ્યાર્થી લાવી રહ્યો છે. ત્યારે તમામ તેજસ્વી તારલાઓને ખુબ ખુબ અભિનંદન સહ…ધન્યવાદ…!
પ્રચંડ પરિણામો જોઈ છેલ્લા થોડા સમયથી મનમાં વિચારોનું વંટોળ સર્જાયું છે. આટ-આટલું જ્વલંત પરિણામ પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ઈચ્છીત પદ પ્રાપ્ત કરી શકશે ? શું શિક્ષણ જ જીવન છે ? શિક્ષણ પ્રાપ્ત કરવાથી જ બધુ પ્રાપ્ત થાય છે ? શું આજનો ભણેલો યુવાન ગણેલો છે ? આજનો ભણેલો કે ગણેલો યુવાન સુશિક્ષિત સુસંસ્કારી છે ? આવા અને ક પ્રશ્નો વંટોળીયાની જેમ ગોળ-ગોળ ફરી રહ્યા છે.
મંજિલે ઉન્કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ,
પરોં સે કુછ નહિં હોતા હોંસલો સે હી ઉડાન હોતી હૈ.
આપણે આશા રાખીએ કે આજનો આ એજયુકેટેડ યુવાન કર્તવ્યનિષ્ઠ બને, કર્મયોગી બને, સંવેદનશીલ બને, સામાજીક સેવામાં સહભાગી બને, પરિશ્રમી બને, રાષ્ટ્ર માટે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની પોતે પ્રાપ્ત કરેલ શિક્ષણ સાર્થક કરે. બાકી તો અત્યાર સુધીના અનેક એવા ઉદાહરણો છે કે ભણેલા લોકોએ જ આ દુનિયાને વધુને વધુ નુકસાન પહોચાડ્યું છે. જેમ કે અભણ માણસ પ્રકૃતિનું પૂજન અને જતન કરતો જ્યારે ભણેલા માણસે પર્યાવરણનું નિકંદન કાઢી નાખ્યું છે. અભણ માણસે વૃક્ષો વાવ્યા અને ભણેલા માણસે આડેધડ વૃક્ષો કાપ્યા અને સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો ઉભા કર્યા, જેના દુષપરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. અત્યારે 45 ડીગ્રી તાપમાન, આંધી, તુફાન અને કમોસમી વરસાદ કે ભૂકંપ જેવી કુદરતી આફતોનો આપણે સામનો કરી રહ્યા છીએ. અભણ માણસ પાણીને પવિત્ર માનતો, નદીને લોકમાતા માનતો અને પાણીની સ્વચ્છતા જાળવતો. ભણેલો માણસ નદીમાં ગંદી ગટરો વહાવતો થયો. જેના પરિણામે આજે આપણે બોટલનું પાણી પીવા વારો આવ્યો છે. અભણ માણસ ગાય, ભેંસો જેવા દુધાળા પશુઓ રાખતો અને ભણેલા માણસને પાલતુ પ્રાણીઓ બોઝા રૂપ લાગ્યા. પરિણામે આપણે ભેળસેળીયું, વાસી અને પ્લાસ્ટિકની થેલીનું દૂધ ખાતા થયા. અભણ માણસ પોતાનો પરંપરાગત વ્યવસાય કરતો, ખેડૂતનો દિકરો ખેતી કરતો, લુહારનો દિકરો લુહારી કામ કરતો, સુથારનો દિકરો સુથારી કામ કરતો, બ્રાહ્મણનો દિકરો કર્મકાંડ કરતો પણ ભણેલો માણસ પોતાના પરંપરાગત વ્યવસાયથી વિમુખ થયો અને સરકારી નોકરી શોધતો થયો. પરિણામે હજાર ખાલી જગ્યા માટે લાખો શિક્ષિતિ બેકારો અરજી કરતા થયા. નિરક્ષર માણસ કઠોર પરિશ્રમ કરતો અને આજનો સાક્ષર માણસ સોફ્ટવર્કની શોધમાં બેકાર બન્યો. આજે ખેતીકામ કરનારાઓની ખુબ જ જરૂર છે પણ ખેતી કરનારાઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. પરિણામે હજારો હેકટર ઉપજાઉ જમીન બંજર બનતી જાય છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો કદાચ ખાદ્યપદાર્થોની અછત ઉભી થશે. લોકો અનાજ માટે તડપતા હશે..!!
ઈશ્વર તો એક કલ્પના છે, જ્યારે માં-બાપ હકીકત છે,
ઈશ્વર તો નિરાકાર છે જ્યારે માં-બાપ તો સાકાર છે.
અભણ માણસ માતા-પિતાને માન આપતો, સેવા સુસુશ્રા કરતો, ભણેલો માણસ માં-બાપને વૃદ્ધાશ્રમમાં મોકલતો થયો. ખેતી કે ખેતમજૂરી કે નાના નાના કામ કરતો માણસ પોતાના માં-બાપને સાથે રાખશે પણ જે માં-બાપે પેટે પાટા બાંધીને ભણાવી ગણાવીને જેમને શિક્ષિત કરતો કર્યો હોય એ દિકરો એના માં-બાપને સાથે નહીં રાખે.એનું કારણ પિતાશ્રીના કુળમાંથી સસુરના કુળમાં પધારેલી પુત્રવધુ છે,દીકરાઓને તો એમના માતા-પિતા ગમતા જ હોય છે પણ આજની ભણેલી ગણેલી પુત્રવધુઓને સાસુ-સસરા નથી ગમતા પરિણામે જે ઉંમરે માતા-પિતાને એકબીજાના સાથની પરિવારના પ્રેમની ખુબજ આવશ્યકતા હોય એવા સમયે માં-બાપના ભાગ પાડી એક ભાઈ માં ને રાખે અને મકાન પર *માતૃકૃપા* લખતો થયો. એક ભાઈ પિતા ને રાખે અને ઘર પર *પિતૃકૃપા* લખતો થયો. અભણ માણસ સંયુક્ત કુટુંબમાં રહેતો, ભણેલો માણસ વિભક્ત કુટુંબમાં રહેતો થયો. જો આવું ને આવું ચાલ્યું તો એક દિવસ પતિ-પત્ની સાથે રહેતા હશે એને કદાચ સંયુક્ત કુટુંબ કહેવું પડશે…! અભણ માણસ ખોટું ન્હોતો કરતો, કામચોરી કે કરચોરી કે દિલદગડાઈ ન્હોતો કરતો. જ્યારે ભણેલો માણસ કરોડોનો બેનંબરી કમાણી કરી ભયંકર ભ્રષ્ટાચાર કરતો થયો. ભણેલો માણસ આંતકવાદી બની નિર્દોષ લોકોની કત્લેઆમ કરતો થયો. ભણેલા માણસે પરમાણું બોંબ બનાવ્યો જે સમગ્ર માનવજાત માટે ખતરારૂપ બન્યો છે. આમ “સાક્ષરા માનવા: રાક્ષસા ભવન્તિ:|” સાક્ષરતા એ રાક્ષસતા ન બની જાય એટલા માટે પુસ્તકિયા શિક્ષણની નહીં પણ કેળવણીની જરૂર છે. માણસને સંસ્કારી બનાવે, સંવેદનશીલ બનાવે એવી ઋષિ પરંપરા વાળી કેળવણીની વ્યવસાયીલક્ષી શિક્ષણની અતિ આવશ્યકતા છે. અન્યથા શૈક્ષણિક સંસ્થાઓમાંથી પુસ્તકિયું જ્ઞાન પ્રાપ્ત કરનારા લાખો યુવાનો દર વર્ષે શિક્ષિત બેકારો બનતા જ રહેશે… બનતા રહેશે…!
યુગોની ઓળખ પલમાં ડૂબી જાય છે,
જેમ આકાશમાંથી તારા ખરી જાય છે.
આપણે ગમે તેવા દાવપેચ ખેલીએ પણ
હુકમનો એકો તો કુદરત જ ફેંકી જાય છે.
માનવ જીવન ખુબજ અલ્પ છે. ક્યારે કુદરત આપણને એમની પાસે બોલાવી લે એનું કંઈ નક્કી નથી ત્યારે દરેક માણસ સાચા અર્થમાં માણસ બને. કુદરતી જીવન જીવી, અન્યને ઉપયોગી બની, મનુષ્ય અવતારને સાર્થક કરે એજ પરમકૃપાળુ પરમ પ્રેરક પરમાત્માને પ્રાર્થના…!!
લેખન:- દિનેશ વડસોલા