200થી વધુ લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો, દર્દીઓને દવાની સાથે વૃક્ષના રોપાનું પણ વિતરણ કરાયું
મોરબી શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં ગઈકાલે રોહીદાસ બાપુજીના મંદિર ખાતે લાખાભાઈ છગનભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તેમજ વૃક્ષના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમાજ કલ્યાણ અધિકારી કે. એમ. છાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન તબીબોની ટીમ દ્વારા સ્થાનિક નાગરિકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં અંદાજે 200થી વધુ લોકોએ આરોગ્ય ચકાસણી કરાવી કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પમાં ઉપસ્થિત દર્દીઓને જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે આરોગ્ય તપાસ માટે આવતા દરેક દર્દીને એક વૃક્ષનો રોપો પણ ભેટરૂપે આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સમાજસેવાની ભાવના સાથે આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ બચાવવાની પહેલને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્થાનિક રહિશોએ પણ આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી.
આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના હોદ્દેદારો, સ્વયંસેવકો અને સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.




