“આપણે યોગને દૈનિક જીવનમાં અપનાવી સ્વસ્થ રહીએ” -શ્રમ મંત્રી કાંતિભાઈ અમૃતિયા
સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન યોગનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ મુખ્ય કાર્યક્રમમાં મોરબીના યોગ સાધકોએ અનેરી ઉર્જા સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી “મેદસ્વિતા મુક્ત ભારત” અભિયાનના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેમાં નિયત પ્રોટોકોલ મુજબ યોગ ઇન્સ્ટ્રક્ટરોએ સર્વે સાધકોને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવી હતી.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આપણા પ્રાચીન ભાષામાં યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક ઓળખ અપાવી છે. છેલ્લા ૧૨ વર્ષથી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આપણે યોગને દૈનિક જીવનમાં અપનાવી સ્વસ્થ રહીએ. મોરબી ખાતે છ જેટલા યોગ કેન્દ્ર પણ શરૂ થશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સર્વે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ કલકત્તા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું તથા ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારીયા , કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મોરબી જિલ્લાના નાગરિકો સહભાગી બન્યા હતા. .





