ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદિપની સાહિત્યપર્વના સંયુક્ત ઉપક્રમે તા. 18 જુલાઈ, 2026ના રોજ ઝીંકીયાળી પ્રાથમિક શાળામાં ‘બાળરંજન રંગારંગ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા બાળસાહિત્યકાર પ્રકાશભાઈ કુબાવત દ્વારા પોતાની આગવી શૈલીમાં બાળવાર્તાઓ અને બાળગીતોની અભિનયાત્મક રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ઝીંકીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રવીણભાઈ બાવરવા તથા એસ.એમ.સી. અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ બાવરવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બાળસાહિત્યકાર પ્રકાશભાઈ કુબાવતે ‘પંખીને પાંખો મળી’, ‘હંસભાઈ મઝામાં ને?’, ‘મિત્રતાની શરૂઆત’, ‘જાનુ અને સોનેરી માછલી’, ‘પરીરાણીના દેશમાં’, ‘નાના પણ કામના’ અને ‘ચાલી પશુ-પક્ષીની ગાડી’ જેવી કૃતિઓનું રસપ્રદ અને જીવંત પ્રસ્તુતિકરણ કર્યું હતું. તેમની અભિનયાત્મક રજૂઆતથી બાળકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદમય વાતાવરણ સર્જાયું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રકાશભાઈ કુબાવતની 250થી વધુ રચનાઓ ફૂલવાડી, ફૂલછાબ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, નવચેતન અને અખંડ આનંદ સહિતના અગ્રણી પ્રકાશનોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેમના બાળવાર્તાના ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાંથી એક પુસ્તકને બાળસાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ અન્ય બે પુસ્તકોને અંજુ-નરશી પારિતોષિક પ્રાપ્ત થયાં છે.
કાર્યક્રમના અંતે શિક્ષક રાજેશભાઈ જોષી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો બાળસાહિત્યકાર પ્રકાશભાઈ કુબાવતે આભાર વ્યક્ત કર્યો હતો.


