માત્ર વિદ્યાદાન જ નહીં, સમાજ, સરકારી – સેવાકીય પ્રવૃત્તિઓથી રાષ્ટ્રસેવાને સમર્પિત વ્યક્તિત્વ એટલે દિનેશ વડસોલા

Advertisement
Advertisement
Advertisement

5 સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ ડી. વડસોલાની શૈક્ષણિક અને સામાજિક કામગીરીનો અહેવાલ

મોરબી : 5 સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. આ દિવસે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકોની કામગીરી અને શિક્ષણક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ ધનજીભાઈ વડસોલાની પણ શિક્ષણ ક્ષેત્રે 37 વર્ષની સફર રહી છે. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે આચાર્ય, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, બી.આર.સી. કો-ઓર્ડીનેટર અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતની જવાબદારીઓ સંભાળી છે.

દિનેશભાઈ વડસોલાએ શિક્ષક તરીકેની શરૂઆતના વર્ષોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે જોડ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં તેમણે લખેલા અને દિગ્દર્શિત કરેલા ‘જાગ્યા ત્યાંથી સવાર’ બાળનાટકને જિલ્લા કક્ષાની નાટ્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું હતું.આ નાટકમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટેનો સંદેશ આપવામાં આવેલ હતો ત્યારબાદ ઈ.સ.1994 માં સાક્ષરતા અભિયાનને વેગ આપવા માટે તૈયાર કરેલું નાટક “સાક્ષરતાનો સંદેશ” નો પણ જિલ્લાકક્ષાની નાટય સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો.

શિક્ષણ વિભાગ સાથેની વિવિધ જવાબદારીઓ દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ,શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ,રમતોત્સવ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળો, ઈકો ક્લબ, એક્સપોઝર વિઝિટ અને કિશોરીમેળા સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની શિક્ષક તાલીમમાં તજજ્ઞ તરીકે પણ કામગીરી કરી છે. પીએમશ્રી શાળાઓ માટે રાજ્યના માસ્ટર ટ્રેનર તરીકે શિક્ષકોને તાલીમ આપવા ઉપરાંત ‘કર્મયોગી’ તાલીમમાં પણ કામગીરી કરી છે.

ચૂંટણી અને વસ્તી ગણતરી જેવી સરકારી કામગીરીમાં પણ તેમની ફરજ રહી છે. અત્યાર સુધીમાં 15થી વધુ ચૂંટણીઓમાં પોલિંગ ઓફિસર, પ્રિસાઈડિંગ ઓફિસર,ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આર.ઓ. તરીકે તથા ચૂંટણી ટ્રેનર તરીકે કામગીરી કરી હોવાનો ઉલ્લેખ છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં ગણતરીદાર અને વર્ષ 2011 તથા 2026ની વસ્તી ગણતરીમાં માસ્ટર ટ્રેનર તરીકે કામગીરી કરી છે. નિર્મળ ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, સાક્ષરદીપ, નિરંતર શિક્ષણ અને સાક્ષરતા અભિયાન સહિતના કાર્યક્રમોમાં પણ જોડાયા હતા.

વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ અને મળેલા સન્માન

ધુળકોટ તાલુકા શાળાના વિદ્યાર્થીઓને ‘સાક્ષરતા સંદેશ’ નાટક તૈયાર કરાવી જામનગર જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા સુધારણા માટે યોજાયેલી ‘મેગા કસોટી’માં કામગીરી બદલ સન્માન મળ્યું હતું. રાજ્ય કક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં પણ સન્માનિત થયા હતા.

વર્ષ:2011 માં કોલકત્તા ખાતે યોજાયેલ ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ’માં ‘ઘર વપરાશમાં સૌર ઊર્જાનો ઉપયોગ’ વિષયની કૃતિમાં માર્ગદર્શક તરીકેની કામગીરી બદલ સન્માન મળેલ છે.

વર્ષ;-2016 માં દિનેશભાઈ વડસોલાની વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી અનેકવિધ કામગીરીને ધ્યાનમાં લઈ રાજ્ય બેસ્ટ બીઆરસી તરીકે રાજ્યપાલના વરદ હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક” એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

શાળા માટે દાતાઓ પાસેથી સહયોગ

શાળા ગુણવત્તા એવોર્ડ અંતર્ગત મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની 302 પ્રાથમિક શાળાના 43,193 વિદ્યાર્થીઓની કસોટી યોજવામાં આવી હતી. મેગા કસોટીમાં 3,624 વિદ્યાર્થીઓના પેપર તથા આવન-જાવન ખર્ચ, શિક્ષકોના ભોજન, શિલ્ડ, પ્રમાણપત્ર અને ચાંદીના ‘ગુણવત્તા ચક્ર’ માટે દાતાઓ પાસેથી આર્થિક સહયોગ મેળવવામાં આવ્યો હતો.

વર્ષ 2013-14 અને 2014-15 દરમિયાન મોરબી તાલુકાના ધોરણ-1માં પ્રવેશપાત્ર આશરે 6,814 વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કીટ માટે પણ દાન મેળવવામાં આવ્યું હતું. વર્ષ 2009થી 2016 દરમિયાન તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવા માટે આર્થિક સહયોગ મેળવ્યો હતો.

પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિવિધ સુવિધાઓ

3 જાન્યુઆરી 2018થી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઉપલબ્ધ વિગતો મુજબ આ સમયગાળામાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 240 થી વધીને 462 સુધી પહોંચી છે. શાળામાં નવા 4 ચાર રૂમ સરકાર દ્વારા અને બે રૂમ તેમજ મધ્યાહન ભોજન શેડ – કમ-પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ દાતાઓના સહયોગથી ઊભી કરવામાં આવી છે.

યુવા અન્સ્ટોપેબલ દ્વારા શાળામાં અંદાજે રૂ. 60 લાખથી વધુના દાનથી શાળામાં બે રૂમ, સ્ટેમ લેબ, લાઈબ્રેરી પુસ્તકો અને કબાટ-ફર્નિચર, જીમના સાધનો, 20 કમ્પ્યુટર, 75 ઈંચના ચાર સ્માર્ટબોર્ડ, બે આર.ઓ.બે વોટર કૂલર, સોલાર અને બાગબાની શાળાની કલરફુલ બોલતી દિવાલો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.શાળાની આવી ઉત્તમ કામગીરીની નોંધ લઈ સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળા પણ શરૂ કરવામાં આવી છે.

શાળાના વિદ્યાર્થીઓએ CET, NMMS અને PSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોરબી જિલ્લા તથા રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું હોવાનું પણ શાળાની કામગીરીમાં દર્શાવવામાં આવ્યું છે.

શિક્ષણ સાથે સંગઠનાત્મક અને સામાજિક જવાબદારીઓ

દિનેશભાઈ વડસોલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે છ વર્ષ સુધી જવાબદારી સંભાળી ચૂક્યા છે. હાલમાં HTAT મુખ્ય શિક્ષક સંઘના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે. ઉપરાંત ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ – મોરબીના મંત્રી, મોરબી જિલ્લા પંચાયત મોરબી સ્પોર્ટ્સ ક્લબના કન્વીનર તથા ‘માં મંગલમૂર્તિ’ મનો દિવ્યાંગ બાળકોની શાળામાં સહયોગી દાતા તરીકે પણ જોડાયેલા છે.
ઉમિયા માનવ મંદિર, ઉમા સંસ્કારધામ,ઉમિયા સર્વિસ ફોરમ, પાટીદાર શિક્ષક સમાજ, યંગ ઇન્ડિયા ગૃપ કોમનમેન ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓમાં શ્રમદાન અને આર્થિક સહયોગ આપ્યો હોવાનું જણાવાયું છે. વિવિધ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના સરકારી રાજકીય કાર્યક્રમો ગરીબ કલ્યાણ મેળા જેવા મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રીના કાર્યક્રમમાં એન્કર તરીકે પણ કામગીરી કરી છે. આજે શિક્ષક દિન નિમિત્તે આ છે દિનેશ વડસોલાની શિક્ષણયાત્રા..!!

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW