વિભાજનના વિસ્થાપિતોની વેદના વ્યક્ત કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ: આઝાદીના અમર ઇતિહાસમાંથી પ્રેરણા લઈ ‘વિકસિત ભારત’ ના નિર્માણમાં સહભાગી બનવા યુવાનોને મંત્રીનો અનુરોધ
દેશભક્તિસભર ગીતોની પ્રસ્તુતિ અને વિભાજનની વિભીષિકા અંગેની શોર્ટ ફિલ્મનું કરાયું પ્રદર્શન
અખંડ ભારતની આઝાદી વખતે વિભાજનના વિસ્થાપિતોના ત્યાગ, બલિદાન અને વેદનાની સ્મૃતિમાં મોરબી ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં ‘વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ’ નો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રીએ વિભાજન વખતે પોતાના પ્રાણ ગુમાવનારા દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, આપણી આઝાદી લાખો ક્રાંતિવીરો અને વિસ્થાપિતોના મહાન બલિદાનનું પરિણામ છે. ઉજ્જવળ ભવિષ્ય અને ‘વિકસિત ભારત’ ના નિર્માણ માટે યુવા પેઢીએ આ ગૌરવશાળી અને અમર ઇતિહાસથી વાકેફ થવું અનિવાર્ય છે.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા દ્વારા વિભાજનના ઐતિહાસિક પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, સાથોસાથ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ અને વિભાજનની ઘટના પર આધારિત ટૂંકી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મનપા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


