“પ્રાથમિક શિક્ષણનો મજબૂત પાયો ૨૦૪૭ ના વિકસિત ભારતની વિભાવના સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે”: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ માં શ્રેષ્ઠ પરિણામ બદલ મોરબી જિલ્લાના તમામ શિક્ષકોને અભિનંદન પાઠવતા મંત્રી
મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ, દાતાઓનું સન્માન અને ભૂલકાંઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
ગુજરાત સરકારના શિક્ષણ ઉત્કર્ષના ભગીરથ અભિગમ હેઠળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ખાતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે શાળાના આંગણે આવેલા નાના-નાના ભૂલકાઓને મંત્રીએ મીઠો આવકાર આપી હર્ષભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો જે મંત્ર આપ્યો હતો તે આજે વટવૃક્ષ બન્યો છે. સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતા પણ અનેકગણા વધુ સક્ષમ અને લાયકાત ધરાવતા શિક્ષકો કાર્યરત છે. શિક્ષકો પ્રત્યેક બાળકને પોતાના સંતાન માનીને તેમની પ્રતિભા ઓળખે છે અને તેમનો પાયો મજબૂત કરે છે. ભવિષ્યમાં આપણા બાળકો આઈ.એ.એસ. (IAS) અને આઈ.પી.એસ. (IPS) બની દેશનું નામ રોશન કરે તેવા પ્રયાસો દરેક શિક્ષક કરે તે માટે મંત્રીએ તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રીએ યુવાનોના કૌશલ્યવર્ધન માટે સરકારના પ્રયાસોની વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યના ૧ લાખ જેટલા યુવાનો આઈ.ટી.આઈ. (ITI) ના આધુનિક કોર્સ કરીને વિદેશોમાં રોજગારી મેળવી શકે તેવું આયોજન કરાઈ રહ્યું છે.મંત્રીએ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવા તેમજ વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા ખાસ અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે છેલ્લા ૪ વર્ષથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ તેમજ ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ મોરબી જિલ્લાના તમામ શિક્ષકોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને બાળકોને ગુજરાત વિધાનસભાના પ્રવાસે લઈ આવવા પ્રેરક સૂચન કર્યું હતું.
આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શાળા, આંગણવાડી અને બાળ વાટીકામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાંઓને બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને ઉદારદિલ દાતાશ્રીઓનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકોએ પણ પોતાના સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.





