જેતપર વીજ લાઇન વિવાદ: ગોરખીજડીયાના સરપંચે વડાપ્રધાન મોદીને પત્ર લખી ખેડૂતોની માંગણી અંગે કરી રજૂઆત
મોરબી તાલુકાના જેતપર ગામમાં વીજ લાઇનના થાંભલા સ્થાપન મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે ખેડૂતો ઉપવાસ આંદોલન પર પણ ઉતર્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ સંવેદનશીલ મામલે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી ખેડૂતોની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે જેતપર ગામના ખેડૂતો વીજ લાઇનના થાંભલા બાબતે લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને હાલમાં ઉપવાસ આંદોલન પણ ચાલુ છે. ખેડૂતોની માંગણીઓ વ્યાજબી હોવાનું જણાવી તેમણે ગામના સરપંચ તરીકે ખેડૂતોની લાગણી અને સમસ્યા વડાપ્રધાન સુધી પહોંચાડવાની પોતાની ફરજ હોવાનું જણાવ્યું છે.
વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીને ખેડૂતોની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા અને આ સમગ્ર મામલે હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી છે.


