વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસે નોંધપાત્ર પ્રજાલક્ષી કામગીરી કરી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા CEIR પોર્ટલના ઉપયોગથી ખોવાયેલા મોબાઈલ ફોન તેમજ સાયબર ફ્રોડના કેસોમાં સફળતા મેળવી છે.
પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકીના સુપરવિઝન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ રમેશભાઈ રંગપરાએ CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વર્કઆઉટના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મળીને કુલ 19 ખોવાયેલા મોબાઈલ ફોન, અંદાજિત રૂ. 3,51,500ની કિંમતના શોધી કાઢ્યા હતા. ઉપરાંત, ભૂલથી બદલાઈ ગયેલો અંદાજિત રૂ. 30,000 કિંમતનો મોબાઈલ પણ તેના માલિકને પરત અપાયો હતો.
આ સાથે જ સાયબર ફ્રોડમાં ગુમાવેલી રૂ. 2,59,390ની રકમ પણ અરજદારોને પરત અપાવવામાં સફળતા મળી હતી. આમ, કુલ મળીને અંદાજિત રૂ. 6,40,890નો મુદ્દામાલ અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલે પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કામગીરીને પ્રાથમિકતા આપવાની સૂચનાઓ આપી હોવાનું જણાવાયું હતું. વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીથી “પોલીસ પ્રજાની મિત્ર છે” સૂત્રને વધુ એક વખત સાર્થક કરવામાં આવ્યું છે અને અરજદારોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


