રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં દિવંગતોના પરિવારોને સાંત્વના પાઠવી ચેક અર્પણ કરાયા
દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે નદીના પાણીના વેણમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ૩ મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારની મૃત્યુ સહાય અન્વયે રૂ.૪ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
માળિયા તાલુકાના ઘાંટીલા ગામે નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા ગેલાભાઈ નોંધાભાઇ હાડગરા તેમજ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે ડેમી નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા સિરાજભાઈ ખમીશાભાઇ સંધી અને તેમના ૭ વર્ષીય પુત્ર કાસિબ સિરાજભાઈ સંધીના શોકગ્રસ્ત પરિવારજનોને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી અને સહાયના ચેક અર્પણ કરાયા હતા.
ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર તથા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી દિવંગતોની આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


