૬૫૦૦ દિવડાઓની રોશનીથી મણિમંદિરનો સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યો
સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સેવાકાર્ય અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ
૨૦૨૬: દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જનતાની સેવામાં સમર્પિત ૨૫ વર્ષના સેવાકાર્ય તેમજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મોરબી જિલ્લામાં ‘સેવાt સંકલ્પ અભિયાન’નો પ્રારંભ ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો.
જિલ્લાકક્ષાનો ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ ઐતિહાસિક મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત મણિમંદિર પરિસરમાં ૬૫૦૦ દિવડાઓ તેમજ સુંદર દિપમાળા પ્રગટાવવામાં આવી હતી. દિવડાઓની રોશનીથી મણિમંદિરનો સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં નગરજનો તથા મહાનુભાવો જોડાયા હતા.
આ પ્રસંગે મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


