મોરબી મનપા ની ફૂડ શાખાની કાર્યવાહી: 24 હોટલ-રેસ્ટોરન્ટ અને બેકરીમાં નિરીક્ષણ, 16 ધંધાર્થીને નોટિસ
મોરબી શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી અને મીઠાઈની દુકાનો સહિત વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના કુલ 24 સ્થળોએ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં રવાપર રોડ, નાસ્તાગલી અને અન્ય વિસ્તારોમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટ તથા સ્ટ્રીટ ફૂડના વિક્રેતાઓની દુકાનો પર તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ લાયસન્સની ઉણપ, અપૂરતી સ્વચ્છતા, વાસી ખોરાક, એક્સપાયરી ડેટવાળા ફૂડ પેકેટ અને અખાદ્ય કલરના ઉપયોગ જેવી ગંભીર બેદરકારી સામે આવી હતી.
નિરીક્ષણ દરમિયાન શ્રી ગુરુકૃપા ચાઇનીઝ ખાતે વાસી મન્ચુરિયન મળતાં તેને સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક્સપાયરી તારીખ પૂર્ણ થયેલ ચાઇનીઝ સોસનો પણ નાશ કરાયો હતો. સહારા ચાઇનીઝ ખાતે અખાદ્ય કલરનો વધુ પડતો ઉપયોગ થતો હોવાનું જણાતા તે ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
રવાપર રોડ પર આવેલી T.G.B.માંથી એક્સપાયરી ડેટ વિના માલ મળી આવતા તે પણ નષ્ટ કરાયો હતો. હરિઓમ ફરસાણ ખાતે અતિશય અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવા અંગે કાર્યવાહી કરી ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી દરમ્યાન ફૂડ લાઇસન્સનું રજીસ્ટ્રેશન ન કરનાર તેમજ બેદરકારી દાખવનાર કુલ 16 ખાણીપીણીના ધંધાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી હતી.
મનપા દ્વારા જણાવાયું છે કે આગામી સમયમાં ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે. તમામ ખાણીપીણીના ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા, વાસી ખોરાકનો ઉપયોગ ન કરવા, અખાદ્ય કલરનો ઉપયોગ ટાળવા તેમજ ફૂડ લાઇસન્સ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ફરજિયાત મેળવવા તાકીદ કરવામાં આવી છે.




