વિશ્વ ચકલી દિવસના અવસરે ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “Yuva4Nature” અભિયાન અંતર્ગત પવિત્ર યાત્રાધામ માટેલ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રકૃતિ સંરક્ષણ માટે યુવાનોમાં જાગૃતિ લાવવા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનો સંદેશ આપતો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકર્તાઓએ ચકલી સહિત અન્ય પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી પ્રકૃતિ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરી હતી. “એક કાર્યકર્તા – એક વિસ્તાર હરિયાળો વિસ્તાર” અને “એક યુવાન – પ્રકૃતિનો રક્ષક” જેવા સંકલ્પો સાથે યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી સુખદેવભાઈ ડાભી, જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી શામજીભાઈ કેરવાડીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ ઝાલા, શહેર યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કાર્યકર્તાઓને કુંડા લગાવવા, પાણી ભરવા, વૃક્ષારોપણ કરવા તેમજ પ્રકૃતિ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે અપીલ કરવામાં આવી હતી. પ્રદેશથી લઈને બૂથ સ્તર સુધી દરેક કાર્યકર્તા આ અભિયાન સાથે જોડાય તે માટે આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યુવા મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ, “જ્યાં યુવા ત્યાં શક્તિ, જ્યાં શક્તિ ત્યાં પરિવર્તન”ના મંત્ર સાથે યુવાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સજ્જ છે.
અંતમાં સૌને આહ્વાન કરવામાં આવ્યું કે, પ્રકૃતિ માટે માત્ર ચર્ચા નહીં પરંતુ પ્રયોગાત્મક પગલાં લઈને “Yuva4Nature” અભિયાનને સફળ બનાવવું જોઈએ.




