માળીયા(મીં) તાલુકાના નાનાદહીંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાંથી ચોરી થયેલા 13 ચાંદીના છતર અને રોકડ સહિત કુલ રૂ. 87 હજારનો મુદ્દામાલ મોરબી એલસીબી પોલીસે કબ્જે લીધો છે. પોલીસે મોરબીના રવાપર ગામના રહેવાસી કિશનભાઈ સુરેશભાઈ જાની (ઉ.વ. 26)ને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં ઉપયોગ કરાયેલ બાઈક જપ્ત કર્યું છે.
પોલીસે ટેકનિકલ તપાસ, CCTV ફૂટેજ અને બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને રવિરાજ ચોકડી ઓવરબ્રિજ નજીકથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ નાનાદહીંસરા સહિત અન્ય ચાર સ્થળોએ પણ ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.




