‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬’ અંતર્ગત ૨૩થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ઓશો કેશર ફાર્મ ખાતે આયોજન
મોરબી જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬’ અંતર્ગત આગામી તા. ૨૩, ૨૪ અને ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન ઓશો કેશર ફાર્મ, નવા સજનપર, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસ દરમિયાન કુલ ૧૧ મહત્વપૂર્ણ સત્રો યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા. ૨૩ ઓગસ્ટે ૨ સત્રો, બીજા દિવસે તા. ૨૪ ઓગસ્ટે ૭ સત્રો અને ત્રીજા દિવસે તા. ૨૫ ઓગસ્ટે ૨ સત્રો યોજાશે.
આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે સહિત પ્રદેશના અનેક ભાજપ આગેવાનો અને નેતાઓ વિશેષ ઉપસ્થિત રહેશે. પ્રદેશના નેતાઓ વિવિધ સત્રોમાં હાજરી આપી કાર્યકર્તાઓને સંગઠન, વિચારધારા તથા પક્ષની નીતિ-રીતિ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે.
પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ ભાજપના કાર્યકર્તાઓમાં સંગઠનાત્મક કૌશલ્ય, પક્ષની વિચારધારા તથા નીતિ-રીતિ અંગેની સમજને વધુ સુદૃઢ બનાવવાનો છે. સાથે સાથે કાર્યકર્તાઓને સંગઠનના વિવિધ કાર્યો અને જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે દિશામાં પણ આ પ્રશિક્ષણ વર્ગ મહત્વપૂર્ણ બની રહેશે.
આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં મોરબી જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લેશે.


