વૈજ્ઞાનિક સમજણ, આધુનિક ટેક્નોલોજી અને રોમાંચક પ્રસ્તુતિનો ત્રિવેણી સંગમ
“જોવા જેવી દુનિયા” એ કર્યું મોરબીને ઘેલું | ઊભરાયો માનવમહેરામણ
મોરબી: છેલ્લા ત્રણ દિવસથી મોરબી અને આજુબાજુના ગામો-જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ એક જ દિશામાં વહી રહ્યો છે. તેમનું લક્ષ્ય છે મોરબીના રવાપુર-ઘુનડા રોડ, પાણીની ટાંકી સામે ઉભી કરવામાં આવેલી ૩૨ લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલી એક આનંદનગરી- જોવા જેવી દુનિયા. આ અદભુત જોવા, જાણવા અને અનુભવવા જેવી નગરીનું જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે ૩ નવેમ્બરના રોજ સાંજે પૂજ્ય દીપકભાઈ દ્વારા ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. ત્રણ દિવસમાં જ એક લાખથી વધુ લોકો આ જોવા જેવી દુનિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.
પરમ પૂજ્ય દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી આપેલ કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન એટલે અક્રમ વિજ્ઞાન. આ અદભૂત અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને આવરી લેતી જોવા જેવી દુનિયામાં ‘થીમ પાર્ક’ અને ‘ચિલ્ડ્રન પાર્ક’નું સર્જન કરવામાં આવ્યું છે જે બાળકો અને યુવાનોને મુશ્કેલીઓથી ભરેલા જીવનમાં જિંદગી જીવવાનો એક અનોખો અભિગમ પૂરો પાડે છે. મોરબીમાં પ્રથમ વાર જ યોજાઇ રહેલ આ અનોખી દુનિયાની મુલાકાત લઈ લોકોએ સહ પરિવાર અહીં દર્શાવવામાં આવતા વિવિધ શો માણ્યા હતા. ઘણાં મુલાકાતીઓએ એવું પણ જણાવ્યું હતું કે “આ દુનિયામાં જે કોઈ પ્રવેશ કરશે, તે જીવન જીવવાની અમૂલ્ય ચાવીઓ લઈને જ જશે. સંસારની ગરમીથી દૂર, ઠંડક આપતી આ “જોવા જેવી દુનિયા”ની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી.” આ જોવા જેવી દુનિયાના દ્વાર ૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
બુધવાર ૫ નવેમ્બરના રાત્રે યોજાયેલ આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિના પ્રયોગમાં હજારો મુમુક્ષુઓ એ આત્મજ્ઞાન મેળવ્યું હતું અને ત્યારબાદ પૂજ્ય દીપકભાઈ દ્વારા આત્મજ્ઞાન સાથે વ્યવહારની ફરજો પૂરી પાડવાની સચોટ સમજણ આપતી પાંચ આજ્ઞાઓ ખૂબ જ ભાવથી સમજી હતી.
મહોત્સવ અંતર્ગત ૬ અને ૭ નવેમ્બરના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ અને રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકે છે.





