મોરબી શહેરની ઐતિહાસિક ઓળખ ગણાતા જુલતા પુલને નવેસરથી યોગ્ય રીતે બનાવવાની માંગ ઉઠી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ આ મુદ્દે રજૂઆત કરી મોરબીના ઐતિહાસિક વારસાને સાચવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે મોરબી ભલે કોર્પોરેશન બન્યું હોય, પરંતુ શહેરની અનેક ઐતિહાસિક ધરોહરો ધીમે ધીમે ગાયબ થતી જોવા મળી રહી છે. મોરબી માટે આશીર્વાદરૂપ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ, જે બિલ્ડિંગ મોરબીના મહારાજા દ્વારા દાનમાં આપવામાં આવ્યું હતું, તેની હાલત આજે પ્રશ્નાર્થ બની ગઈ છે.
આ ઉપરાંત મણીમંદિર બંધ હાલતમાં છે, જુલતો પુલ તૂટેલો છે અને શહેરના અનેક બગીચાઓ ગાયબ થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા નવી કામગીરી શરૂ કરવામાં આવી હોવા છતાં તે પોતાની મૂળ સ્થિતિમાં આવશે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યો છે.
મોરબીના ટાઉન હોલની હાલત પણ વાપરવા લાયક નથી. મહેન્દ્ર ડ્રાઈવ તરીકે ઓળખાતા રોડની સ્થિતિ પણ ખરાબ છે. પુલ પર પીપળા અને વડના ઝાડ ઉગી ગયા હોવા છતાં તેને દૂર કરવાની કામગીરી થતી નથી.
આ ઉપરાંત મોરબીમાં એક સમય અનેક ટ્રેનોની સુવિધા હતી, જ્યારે હાલ લાંબા અંતરની માત્ર એક જ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ માટે ઉપલબ્ધ છે. મોરબી એન્જિનિયરિંગ કોલેજના બિલ્ડિંગના રીપેરીંગ અને નવા કોર્સ શરૂ કરવાની બાબતે પણ માત્ર ચર્ચા થાય છે, પરંતુ અમલ થતો નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
એક સમયે સુવિધાસભર અને “સૌરાષ્ટ્રના પેરિસ” તરીકે ઓળખાતા મોરબી શહેરનો વિકાસ થવાને બદલે પાછળ જઈ રહ્યું હોય તેવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિમાં મોરબીની ઓળખ સમાન જુલતા પુલને નવેસરથી મજબૂત અને યોગ્ય રીતે બનાવવામાં આવે તેમજ શહેરમાં લોકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.





