ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૭ માર્ચથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના બગથળા ગામે આજે નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે અને અરજદારો દ્વારા રજૂ કરવામાં આવતી અરજીઓનો સ્થળ પર જ ઝડપી નિકાલ થાય. જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને સરળતાથી સેવાઓ પ્રાપ્ત થાય.
બગથળા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, સરપંચ હરેશભાઈ મેરજા, પૂર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોર્ચાના પૂર્વ પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા, રાજુભાઈ દલસાણીયા, વિશાલભાઈ સાદરીયા સહિત તલાટી મંત્રી અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને પોતાની અરજીઓ રજૂ કરી હતી.





