(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ANCD વિભાગ દ્વારા માર્ચ 2025થી રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શહેરમાં ગાય, ભેંસ, બકરી સહિતના પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે અનેક પશુઓ રસ્તા પર ફરી રહ્યાં છે, જેના કારણે ટ્રાફિકમાં અવરોધ અને નાગરિકોને અડચણો ઉભી થઈ રહી છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકા હવે એનિમલ હોસ્ટેલ બનાવવાની યોજના અમલમાં મૂકી રહી છે.
માહિતી મુજબ, શહેરના નાની વાવડી અને સબ જેલ નજીક એનિમલ હોસ્ટેલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં પશુ માલિકો પોતાના પશુઓને સુરક્ષિત રીતે રાખી અને તેમની યોગ્ય સંભાળ રાખી શકશે.
એનિમલ હોસ્ટેલમાં પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન ફી, નિયમો અને અન્ય વિગતો હોસ્ટેલ શરૂ થયા બાદ જાહેર કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પશુ માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પશુઓનું સમયસર રજીસ્ટ્રેશન કરાવે અને શહેરને રખડતા પશુઓની સમસ્યાથી મુક્ત બનાવવામાં સહકાર આપે.





