મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનની તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તારીખ ૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મતદાન પુરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે તારીખ ૧૪/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી કોઈપણ વ્યકિત ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજી શકાશે નહીં, સંબોધન કરશે નહીં, સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં.
તેમજ સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહ ભોજન સમારોહ યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈપણ પ્રવૃત્તિ કરશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ નિયમ અનુસાર જેલ કે દંડ અથવા બંને સજાને પાત્ર થશે. ઉક્ત જાહેરનામું તારીખ ૧૪/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં અમલમાં રહેશે.