મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટા ફેરફાર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વિવિધ IAS અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ઉચ્ચ વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) જેવી અગત્યની પોસ્ટ પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વનિલ ખરે, IAS ને હવે મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના કલેક્ટર કિરણ બી. ઝવેરીનું સ્થાન લેશે. સ્વનિલ ખરે અગાઉ મનપા કમિશનર તરીકે શહેરના વિકાસ અને વિવિધ પ્રશાસનિક કામગીરીમાં સક્રિય રહ્યા હતા.
હાલના જિલ્લા કલેક્ટર કિરણ બી. ઝવેરી, IAS ની પણ બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂક હવે નડિયાદ મનપાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તે ઉપરાંત અમદાવાદના ધંધુકા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કામગીરી બજાવતા વિદ્યાસાગર, IAS ને મોરબી જિલ્લાના નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના IC/ DDO એન.એસ. ગઢવીનું સ્થાન સંભાળશે.
મોરબી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે સંગીતા રૈયાણી, IAS ની નિમણૂક કરવામાં આવી છે. સંગીતા રૈયાણી હાલ ગાંધીનગર ખાતે ગુજરાત અર્બન લાઇવલિહૂડ મિશનમાં મિશન ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. હવે તેઓ મોરબી મનપાના વહીવટી અને વિકાસ કાર્યોની જવાબદારી સંભાળશે.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ વહીવટી ફેરફારો બાદ મોરબી જિલ્લામાં વિકાસ કાર્યો અને પ્રશાસનિક કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




