મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ, કેફે અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો સહિત કુલ ૫૦ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી બદલ ૧૫ ખાદ્યપદાર્થના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
રવાપર રોડ સ્થિત કેપિટલ માર્કેટમાં આવેલા “કેફે ચોકો ક્રેઝ”માંથી વાસી કેકનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે “ધ ઘૂઘરા હાઉસ”માંથી એક્સપાયરી તારીખ વગરના ખાદ્યપદાર્થ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ફૂડ કલરનો પણ નાશ કરાયો હતો.
શનાળા રોડ પર આવેલા “સ્પાઈસી હટ” અને “શુભ રેસ્ટોરન્ટ”માં તપાસ હાથ ધરવામાં આવી હતી. “માધવ હોટેલ”માંથી વાસી મન્ચુરિયન, ગ્રેવી અને શાકભાજી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
તે ઉપરાંત “માધવ દાબેલી”, “અન્નપૂર્ણા નાસ્તા”, “પોપસ્ટિક વોફલ”, “પટેલ તાવો” અને “શ્રી રામ ઘૂઘરા”માંથી આશરે ૧૦ કિલો જેટલા છાપેલા ન્યૂઝપેપરનો નાશ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાની ફૂડ શાખાએ જણાવ્યું હતું કે શહેરમાં આરોગ્યલક્ષી ધોરણો જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.




