મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ હતી. જાનીશેરી, નાગનાથશેરી, પ્રજાપત સોસાયટી અને દેરાસર શેરી વિસ્તારમાં ઘર મુલાકાત લઈ પાણી ભરાયેલા પાત્રોની ચકાસણી સાથે એબેટ દવા નાખવાની કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વીસીપરા વોકળા, રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં મચ્છર નિયંત્રણ માટે દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. પખાલીશેરી અને વેરાઈશેરી સહિતની ગટરોમાં પણ મચ્છરનાશક દવાનો છંટકાવ કરાયો હતો.
મનપાએ નાગરિકોને પાણીના પાત્રો ઢાંકી રાખવા, બિનજરૂરી પાણી ભરાય તેવા પાત્રો દૂર કરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.




