અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ ખાતે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે “સાંસદ યોગ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ અને નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ આયોજન રવિવાર, તા. 21 જૂન 2026ના રોજ સાંજે 5:00 કલાકે પિંગલેશ્વર બીચ, તા. અબડાસા, કચ્છ ખાતે યોજાશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગ દ્વારા સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન જાળવવાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહેશે. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકો યોગ ઉત્સવમાં જોડાઈ યોગના મહત્વને જીવનમાં અપનાવે તે માટે અપીલ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ “Yoga for Harmony & Peace” રાખવામાં આવી છે, જેના અનુસંધાને પિંગલેશ્વરના પ્રાકૃતિક વાતાવરણમાં યોજાનાર આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનશે.





