કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા

Advertisement
Advertisement
Advertisement

*ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને નવા ઠરાવ મુજબ ન્યાયી વળતર:

*રાણેકપરના કેટલાક સર્વે નંબરમાં એક વીઘાના આશરે રૂ. ૬૯ લાખ સુધી, ઘીયાવડમાં રૂ. ૫૫ લાખ અને હોલમઢમાં રૂ. ૪૯.૫૦ લાખ સુધીના ભાવ મંજૂર થયા*

*ત્રણ વેલ્યુઅરના બંધ કવરમાંથી પારદર્શક પ્રક્રિયાથી ભાવ નિર્ધારણ કરાયું; અસરગ્રસ્ત ખેડૂતોને નક્કી થયેલ ૧૦૦ ટકા રકમ સાત દિવસમાં ચૂકવવા ટ્રાન્સમિશન કંપનીઓને કલેક્ટરશ્રીનો આદેશ*

મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકારશ્રીના તા. ૦૪/૦૭/૨૦૨૬ના ઠરાવ મુજબ પારદર્શક અને ન્યાયી વળતર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં કમિટી દ્વારા વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના ૧૫, ઘીયાવડના ૬, હળવદ તાલુકાના રાણેકપરના ૨ તથા માળીયા મિયાણા તાલુકાના વીરવદરકાના ૨ મળી કુલ ૨૫ સર્વે નંબરો માટે નવા દરો નક્કી કરવામાં આવ્યા હતા.

સરકારશ્રીની જોગવાઈ મુજબ ત્રણ મૂલ્યાંકનકારો પાસેથી બંધ કવરમાં ભાવ મેળવવામાં આવ્યા હતા અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં લોટરી પદ્ધતિથી બે કવર પસંદ કરી ભાવ નક્કી કરવામાં આવ્યા. ૨૫ પૈકી ૨૨ સર્વે નંબરોમાં બંને ભાવ વચ્ચે ૨૦ ટકાથી ઓછો તફાવત હોવાથી સરેરાશ ભાવ ગણવામાં આવ્યો હતો, જ્યારે હોલમઢના ૨ અને ઘીયાવડના ૧ સર્વે નંબરમાં ૨૦ ટકાથી વધુ તફાવત હોવાથી નિયમ મુજબ ઓછા ભાવમાં ૧૦ ટકાનો ઉમેરો કરી દર નક્કી કરવામાં આવ્યો હતો, જેને સંબંધિત ખેડૂત પ્રતિનિધિઓએ માન્ય રાખ્યો હતો.

અગાઉ DLVC મુજબ ચારેય ગામોના સંબંધિત સર્વે નંબરો માટે એક વીઘાની કિંમત રૂ. ૧૩.૫૦ લાખ હતી. નવી MRC પ્રક્રિયા બાદ રાણેકપરના કેટલાક સર્વે નંબરોમાં આશરે રૂ. ૬૯ લાખ જે ૫ ગણાથી વધુ, ઘીયાવડમાં આશરે રૂ. ૫૫ લાખ જે ૪ ગણાથી વધુ, હોલમઢમાં આશરે રૂ. ૪૯.૫૦ લાખ જે ૩.૫થી ૪ ગણાં અને વીરવદરકામાં આશરે રૂ. ૨૫ લાખ લગભગ બમણાં સુધીના ભાવ મળવાપાત્ર થયા છે.

માર્કેટ રેટ કમિટીના અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર એ ટ્રાન્સમિશન કંપનીઓને કમિટી દ્વારા નક્કી થયેલ વળતરની ૧૦૦ ટકા રકમ અસરગ્રસ્ત ખેડૂતોને સાત દિવસમાં ચૂકવવા જણાવ્યું હતું. સાથે જ જિલ્લાના અન્ય અસરગ્રસ્ત ખેડૂતોને પણ સરકારશ્રીની નવી જોગવાઈ મુજબ માર્કેટ રેટ કમિટી સમક્ષ ભાવ નિર્ધારણની પ્રક્રિયામાં પોતાના પ્રતિનિધિની નિમણૂક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, ટ્રાન્સમિશન કંપનીઓના અધિકારીઓ, જમીન મૂલ્યાંકનકારો તથા ખેડૂતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW