મોરબી, તા. ૨૫ ઓગસ્ટ- ટીબી સામેની લડાઈમાં સમગ્ર સમાજની સહભાગિતા વધે અને નાગરિકોમાં ટીબી અંગે જાગૃતિ કેળવાય તેવા હેતુથી વાંકાનેર તાલુકામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત શ્રી એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજના ૭૦થી વધુ NSS વિદ્યાર્થીઓએ જન જાગૃતિ રેલીમાં ભાગ લીધો હતો.
રેલીનો પ્રારંભ દોશી કોલેજ ખાતેથી કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ હાથમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવતા બેનરો અને વિવિધ સંદેશાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે નાગરિકોને ટીબીના લક્ષણો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
રેલી દરમિયાન “ટીબી હારેગા, દેશ જીતેગા”, “ટીબીને દુશ્મન અને ટીબીના દર્દીને મિત્ર બનાવો”, “ભેદભાવ મિટાવો, ટીબીના દર્દીને અપનાવો” તથા “જન જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન” જેવા વિવિધ જનજાગૃતિ સૂત્રો દ્વારા ટીબી મુક્ત ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ટીબીનો રોગ સંપૂર્ણપણે મટી શકે છે અને સમયસર નિદાન, યોગ્ય સારવાર તથા સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવાથી દર્દી સ્વસ્થ જીવન જીવી શકે છે તે અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ટીબીના દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખી તેમને સારવાર દરમિયાન જરૂરી સહયોગ અને સામાજિક- ભાવનાત્મક ટેકો આપવા માટે અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરp સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર પીયુષભાઈ જોશી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર વી.એચ. માથકીયા, ટીબી સુપરવાઈઝર એન.જી. સાપરા તથા અસ્લમ વી. માથકીયા દ્વારા NSSના વિદ્યાર્થીઓને ટીબી રોગ, તેના નિવારણ, સમયસર નિદાન અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શંકાસ્પદ લક્ષણો જણાય તો સમયસર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.


